તારો કે મારો ના રહ્યો,
આકાશમાં એ સિતારો ના રહ્યો
મહેફીલ સૂની છે જેના વગર,
સાચા સૂરને સમજનારો ના રહ્યો.
સૂરા પણ જેને શોધતી સાકી,
મૈખાનાનો એ મસ્તાનો ના રહ્યો.
હતી વફા જેની બેવફાઈમાં
ખુદને બેવફા કહેનારો ના રહ્યો.
ન હતો નીલકંઠ તો શું?
ઝહેર જાણીને પીનારો ના રહ્યો.
કોણ જાણે એ નજરથી મુજને?
આંખોમાં ઘ્યાન ધરનારો એ ના રહ્યો. બેસી ચુપચાપ બોલ્યા કરતો બહુ,
મૌનને એ માણનારો ના રહ્યો.
વિરાન થયું વ્હાલનું વૃંદાવન,
ગોપીનો એ ગોવાળીયો ના રહ્યો.
ટહુકા કરતી કોયલ રોજ જેના પર,
આંબાની ડાળનો એ સહારો ના રહ્યો.
ડૂબીને કેવો તરી ગયો દીવાનો!
પ્રેમનો ‘‘પાગલ’’ પૂજારી એ ના રહ્યો.
- ડો. પ્રણવ ઠાકર ‘પાગલ’ (વઢવાણ)
No comments:
Post a Comment